સરકારે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના 3 પ્રોજેક્ટને મંજૂરી આપી PM સૂર્ય ઘર યોજના-ખેડૂતોને ખાતર સબસિડીના મુદ્દે લેવાયો નિર્ણય...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan29022024_120147_Semiconductor-1-1.webp)
- 29 Feb, 2024
ભારતનું પોતાનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. ગુરુવારે કેબિનેટની બેઠકમાં સરકારે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના 3 પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. જેમાંથી બે પ્રોજેક્ટ ટાટા ગ્રુપના છે જ્યારે એક પ્રોજેક્ટ જાપાનીઝ કંપનીનો છે.
કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટની મીટીંગ બાદ આ સમગ્ર પ્લાન વિશે માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટની બેઠકમાં PM સૂર્ય ઘર યોજના અને ખેડૂતોને ખાતર સબસિડીના મુદ્દે પણ નિર્ણયો લેવાયા છે.
પીએમ-સૂર્ય ઘર યોજના હેઠળ દેશના 1 કરોડ ઘરને 300 યુનિટ મફત વીજળી સાથે કમાણીની તક મળશે. સરકાર આ યોજના પર 75,021 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ હતું કે, દેશમાં સ્થાપિત થનારા 3 સેમિકન્ડક્ટર યુનિટમાં કુલ 1.26 લાખ કરોડ રૂપિયાના રોકાણનો અંદાજ છે.
સરકાર દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સમાં, CG પાવર જાપાનની રેનેસાસ ઈલેક્ટ્રોનિક્સ કોર્પ અને થાઈલેન્ડની સ્ટાર્સ માઈક્રોઈલેક્ટ્રોનિક્સના સહયોગથી ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે. ટાટા સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ પ્રાઈવેટ લિમિટેડ આસામના મોરીગાંવમાં 27,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે.
ટાટા ગ્રૂપની ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રા.લિ. તાઈવાનની પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશનના સહયોગથી ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે. સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને લઈ આવેલા આ મોટા સમચારની અસર તેની સાથે સંકળાયેલી કંપનીના શેરના ભાવમાં પણ જોવા મળી શકે છે અને આવનારા સમયમાં તેમાં વધારો થઈ શકે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ