છેતરપિંડી કરનાર બંટી -બબલીની જોડી ઝડપાઇ: ૭૦ ટકા નફાની લાલચ આપીને આશિષ-શિવાંગીએ સાથે મળીને ૨૦૦ કરોડની ઉચાપત કરી હતી
- 13 Jun, 2024
આધુનિક ટેકનોલોજીના નામે ઓનલાઇન છેતરપિંડીનો કરવાનો વ્યવસાય કોરોના બાદ પુષ્કળ પ્રમાણમાં વધ્યો છે, સામાન્ય લોકોના વિશ્વાસ સાથે ચેડાં કરીને તેમની પાસેથી તેમની જમાપૂંજી ડબલ કે ત્રિપલ કરી આપવાની લાલચ આપીને લઈ છુમંતર થઈ જતા ગઠિયાઓમાં વધુ એક નામ ઉમેરાયું હતું .
બનાવની વિગત મુજબ શહેરના એક સિનિયર સીટીઝન પાસેથી તેમની નિવૃત્તિ બાદ મળેલી રકમ પર સારુ વળતર મળશે એમ કહીને તેમની પાસેથી ધીમે ધીમે કરીને ૨૫ લાખનું રોકાણ કરાવી લેવાની ઘટના સંદર્ભે ઠગ દંપતીની ધરપકડ કરવામાં આવી છે. દેશભરમાં ડીઆઇએફએમ નામની એપ્લિકેશન દ્વારા આઇડી બનાવીને વિવિધ ફંડમાં રોકાણ કરાવીને થતા નફામાં ૭૦ ટકા જેટલો નફો અપાવવાની લાલચ આપીને ૨૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના મુખ્ય સૂત્રધાર બંટી બબલીને ચાંદખેડા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે મુંબઇથી ધરપકડ કરી છે.
સોશિયલ મીડિયા પર લોકોને રોકાણની સામે વળતરની લાલચ આપીને મોટાપ્રમાણમાં છેતરપિંડી કરાઈ હતી. આ કેસમાં મુંબઇની આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારીઓએ 160 કરોડ રૂપિયાની રકમ ફ્રીઝ કરી હતી. મહેતા દંપતીએ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત અને ધાનેરા સહિતના શહેરોમાં અનેક લોકોને ટાર્ગેટ કર્યા હતા.કુલ નફાની સામે 70 ટકા નફો અપાવવાનું કહીને એક એપ્લિકેશન દ્વારા આઇડી બનાવીને ઓનલાઇન કરોડો રૂપિયા પડાવ્યા હતા
શહેરના જગતપુર રોડ પર આવેલા ગણેશ જેનીસીસ એપાર્ટમેન્ટમાં રહેતા શોભનાબેન મહેતાએ નિવૃત્તિ બાદ આવેલા બચતની રકમ પર સારૂ વળતર મળી રહે તે માટે તેમના મિત્રોની સલાહથી ડીઆઇએફએમ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને લોગઇન કરીને ૨૫ લાખનું રોકાણ કર્યું હતું.
આ એપ્લિકેશનની માલિકી ધરાવનાર બ્લીસ કન્સલ્ટન્ટના આશિષ શૈલેષભાઇ મહેતા અને તેની પત્ની શિવાંગી મહેતા (બંને રહે.વી વર્ક એબોરોય કોમર્સ, એબોરોય સિટી,ગોરેગાવ, મુંબઇ)એ શોભનાબેનને ખાતરી આપી હતી કે રોકાણ પણ જે નફો મળશે તે નફાના 70 ટકા ભાગ અપાવશે. શરૂઆતના તબક્કાનાં વિશ્વાસ જીતવા માટે તેમણે થોડા મહિના પૈસા જમા કરાવ્યા હતા.
જો કે ત્યારબાદ પૈસા જમા કરાવવાનું બંધ કર્યું હતું. બીજી તરફ નાણાંની જરૂર પડતા શોભનાબહેને પૈસા પરત માગતા આપવાની મનાઇ કરી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.પોલીસે તપાસ કરતા આશિષ મહેતાએ તેની પત્ની સાથે મળીને દેશભરમાંથી ૨૦૦ કરોડની ઉચાપત કરી હતી. મુંબઇની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ગુનો નોંધાયા બાદ આશિષ મહેતા અને શિવાંગી મહેતા ફરાર હતા.
મુંબઇ પોલીસે તેમની સુરતથી ધરપકડ કરી હતી. સાથેસાથે બંને જણા તેમના એકાઉન્ટમાં રહેતા હવાલાથી વિદેશમાં મોકલે તે પહેલાં મુંબઇની આર્થિક ગુના નિવારણ શાખાએ રૂપિયા 160 કરોડ જેટલી માતબર રકમ ફ્રીઝ કરી હતી. બંને જણાએ સાથે ગુજરાતમાં અનેક લોકોને ટાર્ગેટ કર્યાની વિગતો ચાંદખેડા પોલીસને મળી છે. ત્યારે ભોગ બનનારા લોકોને પોલીસનો સંપર્ક સાંધવા માટે સૂચના આપવામાં આવી છે.