પોલીસ કસ્ટડીમાં મોત થતા કર્ણાટકમાં રોષ: લોકોએ કાયદો હાથમાં લઈને પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો, 11 પોલીસ કર્મચારીઓ ઘાયલ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan25052024_090735_kar 1.webp)
- 25 May, 2024
કર્ણાટકના દાવણગેરે જિલ્લાના ચન્નાગિરીમાં આદિલ નામના એક વ્યક્તિનું પોલીસ સ્ટેશનમાં મૃત્યુ થયા પછી હિંસક ભીડે પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી. આ સિવાય પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો અને ઘણા વાહનોને આગ પણ લગાડવામાં આવી હતી. આ ઘટના શનિવાર રાતની છે. પોલીસે કહ્યું કે આદિલની જુગારના મામલામાં સંડોવણી બહાર આવી હતી. તેના પગલે તેની 24 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારે તેનું સ્વાસ્થ્ય બગડી ગયું અને પોલીસ સ્ટેશનમાં તેનું મૃત્યું થયું હતું.
આદિલના મૃત્યુના સમાચાર ફેલાતા જ તેના સંબંધીઓ લોકોના મોટા જૂથ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને હંગામો મચાવ્યો. ટોળાએ પોલીસના વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું અને પથ્થરમારો કર્યો હતો. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. આદિલના સંબંધીઓએ આરોપ લગાવ્યો હતો કે તેનું મોત પોલીસ કસ્ટડીમાં ત્રાસને કારણે થયું છે. દાવંગેરના પોલીસ અધિક્ષક ઉમા પ્રશાંતે જણાવ્યું હતું કે મૃતદેહને સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ પછી પરિવારના સભ્યોને સોંપવામાં આવશે.
એસપીના જણાવ્યા અનુસાર, પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે અને ચન્નાગિરીમાં વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મેજિસ્ટ્રેટની હાજરીમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે આરોપી આદિલને કસ્ટડીમાં ટોર્ચર કરવાનો ઇનકાર કર્યો છે. તેના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી. પોલીસનો દાવો છે કે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યાની છથી સાત મિનિટમાં જ આરોપીનું મોત થઈ ગયું હતું. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તપાસ બાદ ડોક્ટરોએ જણાવ્યું કે તેનું મૃત્યુ લો બ્લડ પ્રેશરને કારણે થયું છે.
દાવંગેરેના એસપી ઉમા પ્રશાંતે કહ્યું, 'ગઈકાલે આદિલ નામના વ્યક્તિને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. તે બેભાન થઈને પડી ગયો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. આદિલ છ-સાત મિનિટ પણ પોલીસ સ્ટેશનમાં નહોતો. લોકો લોકઅપમાં મોતનો આક્ષેપ કરી રહ્યા છે. પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી છે અને આ મામલે તપાસ કરવામાં આવશે. જજની હાજરીમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોલીસના સાત વાહનો અને 11 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ મામલામાં ત્રણ FIR નોંધવામાં આવી છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને કલમ 144 લાગુ કરવામાં આવી નથી.