શપથનાં બીજા દિવસે કરવો પડ્યો ખુલાસો: મીડિયાના અહેવાલોના પગલે કેરળના સાંસદે કર્યો ખુલાસો, કહ્યું- હું મંત્રી પદ છોડવાનો નથી
- 10 Jun, 2024
કેરળના ત્રિશૂરથી નવા ચૂંટાયેલા બીજેપી સાંસદ સુરેશ ગોપીએ મંત્રી પદના શપથ લીધા પછી હાલ વિવિધ મીડિયામાં એવા સામાચાર ચાલી રહ્યાં છે કે તેઓ તેમના પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યાં છે. હવે આ પ્રકારના સમાચારોનું તેમણે ખંડન કર્યું છે.
કેરળથી તેઓ બીજેપીના એકમાત્ર સાંસદ છે, જેમને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મંત્રીપદની શપથ લેનાર 72 સાંસદોમાં તે પણ સામેલ હતા. સુરેશ ગોપીએ પોતાની એક પોસ્ટમાં કહ્યું, "કેટલાક મીડિયા પ્લેટફોર્મ ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે કે હું મોદી સરકારના મંત્રી પરિષદમાંથી રાજીનામું આપવા જઈ રહ્યો છું. આ સંપૂર્ણપણે ખોટું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે કામ કરી રહ્યા છીએ. કેરળના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે.
મીડિયા અહેવાલો પછી, સૂત્રએ સુરેશ ગોપીના કાર્યાલયને ટાંકીને જણાવ્યું હતું કે તેઓ એવા અહેવાલો પર સ્પષ્ટતા જારી કરશે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેઓ પદ છોડવા માંગે છે. તેમની ઓફિસે પહેલેથી જ કહ્યું હતું કે સુરેશ ગોપીએ ક્યારેય આવું કહ્યું નથી. તેમની ઓફિસે કહ્યું હતું કે મીડિયાના અમુક વર્ગ દ્વારા ખોટી માન્યતાઓ ફેલાવવામાં આવી રહી છે. પોર્ટફોલિયોની ફાળવણી બાદ સુરેશ ગોપી સ્પષ્ટતા જારી કરશે.