પૂર્વ અમદાવાદમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતી: હાટકેશ્વરનો ખાડો મ્યુનિસિપલ કોર્પોરેશને રાતોરાત પૂર્યો, ચોમાસામાં જો ગટર-પાણીની લાઈન ભેગી થઈ જશે તો?
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan11062024_061938_Rog 1.webp)
- 11 Jun, 2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાટકે શ્વરના ન્યુ કર્ણાવતી એપાર્ટમેન્ટ, ગુપ્તાનગર, શ્રવણ નગર ખાતે પાણીના નવા કનેક્શન આપવા માટે ખાડો ખોદીને પાણીનું કનેક્શન શોધવા માટેની કામગીરી ચાલી રહી હતી. જોકે પાણીનું કનેક્શન શોધવા જતા જ ગટરનું કનેક્શન તૂટી ગયું હતું. આ દરમિયાન એક બાળક ખાડામાં પડી ગયો હતો અને તંત્રએ છટકવા માટે રાતોરાત ખાડા પુરી દીધા હતા. આ સંજોગોમાં જો આગામી દિવસોમાં ગટર લાઈન અને પીવાના પાણીની લાઈન બંને મિક્સ થઈ જશે તો આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળશે અને લોકો કોઈ પણ કારણ વગર રોગનો ભોગ બનશે.
સામાન્ય રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણી અને ગટરની સમસ્યાએ કોઈ નવી વાત નથી. આ સંજોગોમાં કોર્પોરેશન દ્વારા ધીમી ગતિએ કામગીરી કરાતા એક નિર્દોષ બાળકનું થોડા દિવસો અગાઉ જ મોત થયું હતું.
હાટકેશ્વર વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પાણીનું કનેક્શન આપવા માટે 15થી 20 ફુટનો ઉંડો અને મોટો ખાડો ખોદવામાં આવ્યો છે. જોકે આટલા દિવસ છતાં કામદારોને લાઈન નહીં મળતા અને ધીમી ગતિએ કામ ચાલતા આસપાસના લોકો હેરાન થઈ રહ્યાં હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ આખા રોડ પર માટી અને ધૂળના કારણે સમગ્ર વિસ્તારમાં પોલ્યુશન વાળું વાતાવરણ ઉભું થવાથી શ્વસનતંત્ર સંબધિત રોગની તકલીફો ઉભી થઈ રહી હતી.
બીજી બાજુ પાણીની લાઈન શોધતા ગટર લાઈનમાં ભંગાણ પડ્યું હતું. જેનું મૂળ શોધવામાં તંત્રને દિવસો લાગી ગયા હતા. આ દરમિયાન શુક્રવારે આ જ વિસ્તારમાં રહેતો જયમીન પરમાર(ઉંમર10 વર્ષ) પોતાના ઘરેથી નાસ્તો લેવા માટે નજીક આવેલી દુકાનેથી પાછો ફરતો હતો. ત્યારે નાછૂટકે ખાડા પાસેથી પસાર થતા તેનો પગ લપસી પડતા બેરીકેડ ન હોવાના કારણે જયમીન 20 ફુટ ઉંડા ખાડામાં પડ્યો હતો. આ ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકને એલજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સોમવારે તેનું હાથનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
બાળક ખાડામાં પડી ગયો હોવાની જાણ થતા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાને દબાવવા તાત્કાલિક ખાડાને પુરવાની કામગીરી શરૂ કરી હતી. તેની જાણ સ્થાનિક લોકોને થતા લોકોએ ગટર અને પાણીની લાઈનનું કામકામ પુરુ કર્યા વિના અચાનક કામ બંધ કરવાની પ્રક્રિયાને રોકવાની કોશિશ કરી હતી પરંતુ તંત્રએ તાત્કાલિક ખાડો પુરી દીધો હતો.
આ અંગે સ્થાનિક આગેવાન જ્યોર્જ ડાયસ અને દિનેશ રાજપૂતે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરશનની બેદરકારીના કારણે ગરીબ પરિવારના બાળકને ઈજા થઈ છે અને તેનું ઓપરેશન કરવાની ફરજ પડી છે. આ તબક્કે જવાબદાર લોકો સામે કાર્યવાહી નહીં કરે તો આ મામલે તંત્ર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. બાળકને વળતર માટે કોર્ટમાં દાવો પણ દાખલ કરવામાં આવશે.