બોરવેલમાં ફસાયેલી આરોહી જિંદગી સામેનો જંગ હારી: અમરેલીના સુરાગપુર ગામમાં શ્રમિકની બાળકીને બચાવવા સતત 17 કલાક સુધી તંત્રએ પ્રયત્ન કર્યા, વાલીઓએ આ કિસ્સામાંથી લેવા જેવી છે શીખ
- 15 Jun, 2024
અમરેલી જિલ્લાના સુરાગપુર ગામમાં દોઢ વર્ષની આરોહી બોરવેલમાં પડી ગઈ હતી, જેને બહાર કાઢવા માટે 18 કલાકનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે ઓપરેશન સફળ થાય તે પહેલા જ આરોહી જીવન સાથેની લડાઈ હારી ગઈ હતી. આરોગ્ય વિભાગે તેને મૃત જાહેર કરી છે. NDRF, અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીના મૃતદેહને બોરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.
અમરેલીના સુરાગપુરમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં શુક્રવારે વાડી વિસ્તારમાં કામ કરતા શ્રમિકની બાળકી રમતા-રમતા બોરવેલમાં પડી ગઈ હતી, જેને બોરવેલમાંથી બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી પરંતુ આખરે આ બાળકી જીવન સાથેની લડાઈ હારી ગઈ. હાલ આરોહીના મૃતદેહને બોરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.
આરોહીને બોરમાંથી જીવીત બહાર કાઢવા માટે 17 કલાક સુધી ઓપરેશન ચાલ્યું, પણ જયારે આરોહીને બહાર કાઢવામાં આવી ત્યારે હેલ્થ વિભાગના અધિકારીઓએ તપાસ બાદ બાળકીને મૃત જાહેર કરી દીધી છે. બાળકીને બચાવવા માટે સ્થાનિક તંત્ર, અમરેલી ફાયર વિભાગ, એનડીઆરએફની મદદ લેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે દોઢ વર્ષની આરોહી નામની બાળકીને બચાવવા માટે સુરાગપુર ગામમાં વહીવટી તંત્રીની ટીમ પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી. મેડિકલ ટીમ તેમજ ફાયર ટીમ બચાવ કામગીરીમાં જોતરાઈ હતી. 108ની ઈમરજન્સી ટીમ દ્વારા બાળકીને ઓક્સિજન આપવાની કામગીરી પણ કરવામાં આવી હતી.
માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. કારણ કે પોતાના નાના બાળકને એકલું મૂકવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે, તે આ ઘટના પરથી જાણી શકાય છે. હાલ રમતા-રમતા બાળક બોરવેલમાં પડી જવાની ઘટનાઓ વધી રહી છે.
રાજ્યમાં 2018માં બોરવેલમાં પડવાથી 15 બાળકોના મોત થયા હતા. 2009માં 10 બાળકોએ આવી ઘટનાઓમાં જીવ ગુમાવ્યો હતો. 2020માં 5 બાળકોના મોત થયા હતા. 2021માં ગુજરાતમાં એક પણ બનાવ બન્યો નહોતો. જ્યારે 2023માં જામનગરમાં એક બનાવ બન્યો હતો, તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.