આખરે બે દાયકા બાદ મળી સફળતા : પ્રા. શિક્ષણમાં કન્યાઓનું શાળા છોડવાનું પ્રમાણ ઘટ્યું , રેશિયો 20.53થી 1.31 ટકા થયો
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan26062024_051522_0.09346200_1516000344_school.webp)
- 26 Jun, 2024
રાજ્યમાં સરકાર દ્વારા કન્યા કેળવણી છેલ્લા કેટલાય વર્ષોથી અથાગ પ્રયત્નો કરવામાં આવતા હતા . પરંતુ તેના પરિણામ હવે દેખાવા લાગ્યા છે. ગુજરાતમાં કન્યા શિક્ષણમાં પાછલા વર્ષો કરતાં અત્યારના સમયમાં વધારો નોંધાયો છે. જેનું શ્રેય સરકારની કન્યાઓ માટે જાહેર કરવામાં આવેલી વિવિધ યોજનાઓ છે. જેનો લાભ મેળવી કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન મળ્યું હોય તેવું હાલ લાગી રહ્યું છે. તેની સાથે મહિલા સાક્ષરતા દરમાં પણ સુધારો થઈ રહ્યો છે અને પ્રાથમિક શિક્ષણમાં કન્યાઓનો શાળા છોડવાનું પ્રમાણ ઘટેલું નજરે પડે છે.
ધોરણ-1થી 5 સુધીના પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીનીઓનો ડ્રોપ આઉટ રેશિયો જે વર્ષ 2001-02માં 20.53 ટકા હતો, તે હવે વર્ષ 2022-23માં ઘટીને 1.31 ટકા થઈ ગયો છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણને ગતિશીલ બનાવવા માટે ગુણાત્મક શિક્ષણ, 100 ટકા નામાંકન અને 100 ટકા સ્થાયીકરણના 3 હેતુઓ સાથે શિક્ષણ પરિવર્તનની દિશામાં ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. કન્યાઓનો શિક્ષણ મળે તે માટે રાજ્ય સરકારે વ્હાલી દીકરી યોજના અમલી બનાવી છે.
જેના હેઠળ દીકરી 18 વર્ષની થાય ત્યાં સુધી તબક્કાવાર ₹1,10,000ની સહાય રાજય સરકાર દ્વારા આપવામાં આવે છે. આ યોજના શરૂ થયેથી વર્ષ 2024 સુધીમાં 2,37,012 દીકરીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ યોજનાનો લાભ લાભાર્થી દીકરીઓને આગામી વર્ષ 2025-26થી મળવા લાગશે. કન્યાઓનું શાળામાં 100 ટકા નામાંકન થાય તે માટે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના પણ લાગુ કરી છે.
દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહિત કરવા ‘નમો લક્ષ્મી’ યોજનાનો અમલ રાજ્યની દીકરીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવવા પ્રોત્સાહિત કરવાના હેતુથી સરકારે રાજ્યમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી કન્યાઓને ચાર વર્ષમાં ₹50,000ની આર્થિક સહાય આપવા માટે આ વર્ષે ‘નમો લક્ષ્મી યોજના’અમલમાં મૂકી છે.
મેડિકલ ક્ષેત્રેમાં પોતાની કારકિર્દી બનાવવા માંગતી રાજ્યની દીકરીઓ માટે ગુજરાત સરકારે ‘મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિયોજના’
શરૂ કરી છે. અત્યારસુધીમાં રાજ્યએ 19,776 તેજસ્વી વિદ્યાર્થિનીઓને ₹573.50 કરોડની નાણાકીય સહાય પૂરી પાડી છે.આ સિવાય સરકારની કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ અને લઘુમતી સમુદાયોની કન્યાઓ તેમજ દુર્ગમ વિસ્તારોમાં રહેતી કન્યાઓ માટે ધોરણ 6 થી 12નાં શિક્ષણની નિવાસી વ્યવસ્થાની સવલત ઊભી કરવામાં આવી છે.
જે મુજબ, કેજીબીવીમાં કન્યાઓ વિનામૂલ્યે ધો- 6 થી 12 સુધીના શિક્ષણ તેમજ વિનામૂલ્યે રહેવાનું, જમવાનું, જીવન કૌશલ્યલક્ષી તાલીમો, સ્વરક્ષણ તાલીમો, રમત-ગમતની તાલીમો વગેરે સુવિધાઓ આપીને કન્યાઓનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે.