અમદાવાદ થી મુંબઈ માત્ર બે કલાક માં : ધ્યેય સલામત અને સુરક્ષિત મુસાફરી ..
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan20032024_114227_WhatsApp Image 2024-03-20 at 5.11.54 PM.jpeg)
- 20 Mar, 2024
દેશમાં લાંબા સમયથી ખૂબ જ આતુરતાપૂર્વક બુલેટ ટ્રેન શરૂ થવાની રાહ જોવાઈ રહી છે ત્યારે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, બે વર્ષ પછી 2026માં દેશની પહેલી બુલેટ ટ્રેન શરૂ થઈ જશે. ત્યાર પછી અમદાવાદના લોકો નોકરી કરવા માટે મુંબઈ અપડાઉન કરી શકશે અને સાંજે પરિવાર સાથે સમય પણ પસાર કરી શકશે. બુલેટ ટ્રેન શરૂ થયા પછી અમદાવાદ -મુંબઈ દેશનો સૌથી મજબૂત ઈકોનોમિક ઝોન બની જશે.
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે એક કાર્યક્રમમાં કહ્યું કે, 2 વર્ષ પછી દેશમાં બુલેટ ટ્રેન દોડતી થઈ જશે. અમારી તૈયારીઓ ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. બુલેટ ટ્રેન વર્ષ 2026માં શરૂ થશે. ભારતીય રેલ્વેમાં આવી રહેલા ફેરફારો તરફ ઈશારો કરતા રેલ્વે મંત્રીએ કહ્યું કે, મોદી સરકારનો સૌથી મોટો ઉદ્દેશ્ય મુસાફરોની સુરક્ષા છે. પ્રથમ ધ્યેય સલામત મુસાફરી અને પછી સુવિધાઓનું વિસ્તરણ છે. રેલવે મંત્રીએ કહ્યું કે, બુલેટ ટ્રેનના 284 કિલોમીટરના ટ્રેકનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ આંકડો 10-12 દિવસ પહેલાનો છે, જ્યારે મેં સમીક્ષા કરી હતી. અન્ય દેશોમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂરો કરવામાં 20 વર્ષ લાગે છે, પરંતુ ભારતમાં આ પ્રોજેક્ટ ઘણો વહેલો પૂરો થઈ જશે.
બુલેટ ટ્રેનના રૂટ માટે 24 પુલ અને 7 પર્વતમાંથી ટર્નલ બનાવવામાં આવી છે. કોરિડોરમાં 7 કિલોમીટર લાંબી સમુદ્ર નીચે ટનલ પણ છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ આ બાંધકામ પર સતત કામ કરી રહી છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોરમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ સ્ટેશન હશે. રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર મુંબઈ-અમદાવાદ રૂટ એ ભારતનો એકમાત્ર માન્ય હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ છે, જેના અમલીકરણમાં જાપાન સરકાર દ્વારા મદદ કરવામાં આવી રહી છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું સંચાલન કેન્દ્ર સાબરમતી ખાતે હશે.
રેલવે મંત્રીએ કહ્યું કે, બુલેટ ટ્રેન શરૂ થયા બાદ તે દેશનો સૌથી મજબૂત સિંગલ ઈકોનોમિક ઝોન બની જશે. આ ટ્રેન મુંબઈથી અમદાવાદ જશે અને મુંબઈ, થાણે, વાપી, સુરત, વડોદરા, આણંદ અને અમદાવાદ શહેરોના લોકો આ રૂટ પર મુસાફરી કરી શકશે. આ તમામ શહેરોની અર્થવ્યવસ્થાને એક ઝોન સાથે જોડવામાં આવશે. તમે વડોદરામાં સવારે નાસ્તો કરશો. પછી તમે ટ્રેન પકડીને એક કલાકમાં મુંબઈ પહોંચી જશો. કામ પતાવી સાંજે પરત આવી શકશો અને બાળકો સાથે જમશો. તમે પરિવાર અને બિઝનેસ બંનેને પૂરો સમય આપી શકશો.
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, મોદી સરકારનું સંપૂર્ણ ધ્યાન મુસાફરોની સુરક્ષા પર છે. અમારો ઉદ્દેશ્ય રેલ યાત્રાને 100 ટકા સુરક્ષિત બનાવવાનો છે. આ માટે અમે ટેક્નોલોજીને સતત અપડેટ કરી રહ્યા છીએ. સલામતી માટે સૌથી મહત્વપૂર્ણ ટેક્નોલોજી, ઓટોમેશન ટ્રેન સુરક્ષા, ઝડપથી વિસ્તરણ કરવામાં આવી રહી છે.
રેલ્વે મંત્રીએ કહ્યું કે, કોંગ્રેસે રેલ્વેના વિસ્તરણ અને આધુનિકીકરણની દિશામાં 40 વર્ષ વેડફ્યા છે. જ્યારે વિશ્વ સુરક્ષા ટેક્નોલોજીનો અમલ કરી રહ્યું હતું, ત્યારે અહીં કોઈ તૈયારી નહોતી. તેમણે કહ્યું કે, અન્ય દેશોમાં 1980માં જ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન ટેક્નોલોજી લાગુ કરવામાં આવી રહી હતી. તત્કાલીન સરકારે તેને ભારત લાવવા માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો. આ દિશામાં કોઈ રોકાણ કરવામાં આવ્યું નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને 2016 માં રજૂ કર્યું હતું અને તેને દેશમાં લાગુ કર્યું હતું. ત્યારથી ભારતીય રેલ્વે કેટલી આધુનિક બની છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ