મુખ્યમંત્રી કેજરીવાલને હાઈકોર્ટનો ઝટકો: ધરપકડને પડકારતી અરજી ફગાવાઈ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan09042024_113755_Kejriwal News.jpeg)
- 09 Apr, 2024
દિલ્હી શરાબ કૌભાંડ મામલામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે ઈડી દ્વારા ધરપકડ અને કસ્ટડીને પડકારતી તેમની અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ચુકાદો સંભળાવતા કહ્યું કે આ કેન્દ્ર સરકાર અને કેજરીવાલની વચ્ચેનો મામલો નથી પરંતુ ઈડી અને કેજરીવાલની વચ્ચેનો મામલો છે. તેમને મની લોન્ડ્રિંગના મામલામાં એજન્સીએ ધરપકડ કર્યા છે. આ સંજોગોમાં કોઈને કોઈ વિશેષ અધિકાર ન આપી શકાય. ઈડી પાસે પુરતા પુરાવાઓ છે.
હાલ મુખ્યમંત્રીને પુછપરછમાંથી છૂટ ન આપી શકાય. જજ કાયદાથી બધાયેલા છે, રાજકારણથી નહી. આ રીતે કોર્ટે નોંધ્યું છે કે કેજરીવાલની ધરપકડમાં સુપ્રીમ કોર્ટના આદેશનું કોઈ પણ ઉલ્લંઘન થયું નથી. તેમને રિમાન્ડ પર મોકલવામાં આવે તે પણ યોગ્ય છે. ધરપકડ સિવાય કેજરીવાલે તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં મોકલવાની વાતને પણ પડકારી હતી. EDની કસ્ટડી બાદ કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ તિહાર જેલમાં બંધ છે.
એક્સાઇઝ પોલિસી ‘કૌભાંડ’ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી. ED કસ્ટડીનો સમયગાળો પૂરો થયા બાદ નીચલી કોર્ટમાં રજૂ કર્યા બાદ AAP નેતાને 1 એપ્રિલે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.