રોકાણકારોની નજર શેરબજાર પર મંડરાયેલી રહેશે: કોણ બનાવશે સરકાર ? NDA કે INDIA ગઠબંધન, સોમવારે શેરબજારમાં જોવા મળશે એક્ઝિટ પોલની અસર
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan01062024_113122_BSE 1.webp)
- 01 Jun, 2024
લોકસભા ચૂંટણી 2024ના પરિણામોને લઈને રોકાણકારોની નજર ભારતીય શેરબજાર પર છે. સાત તબક્કામાંથી 6 તબક્કા માટેનું વોટિંગ થઈ ગયું છે અને અંતિમ તબક્કામાં આજે 57 સીટો પર વોટિંગ થઈ રહ્યું છે. લોકો છેલ્લા છ સપ્તાહથી ચાલી રહેલા મતદાનના પરિણામની રાહ જોઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં 89 ટકા મતદાન થઈ ચુક્યું છે. આ દરમિયાન શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે.
ચૂંટણીના સંભવિત પરિણામો અંગે ચૂંટણી નિષ્ણાતો વચ્ચે મતભેદ હોવાને કારણે બજારમાં વધઘટ જોવા મળી રહી છે. ઓછા મતદાન અને ઉદાસીનતાને કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એનડીએ અથવા વડાપ્રધાન માટે જોખમી બની શકે છે. આવી સ્થિતિમાં લોકો શેરબજારમાં પણ પ્રોફિટ બુક કરી રહ્યા છે. શેરબજાર ચિંતામાં છે કે આગળ શું થવાનું છે? એક્ઝિટ પોલની અસર સોમવારે શેરબજારમાં જોવા મળશે. જો કે મંગળવારે જ મતગણતરી છે ત્યાર બાદ ચિત્ર સ્પષ્ટ થશે.બિઝનેસ ટુડેના સર્વે અનુસાર, શેરબજારના નિષ્ણાતો ભાજપ માટે સ્પષ્ટ બહુમતીનું અનુમાન લગાવી રહ્યા છે, જ્યાં નિષ્ણાતોને અપેક્ષા છે કે NDA પાર્ટી પોતાના દમ પર 300-320 બેઠકો જીતશે. 2019ની છેલ્લી ચૂંટણીમાં ભાજપે પોતાના દમ પર 303 બેઠકો જીતી હતી, જ્યારે NDAને 352 બેઠકો મળી હતી.
ફોરેક્સ કન્સલ્ટિંગ અને એસેટ મેનેજમેન્ટ ફર્મ IFA ગ્લોબલના સ્થાપક અભિષેક ગોએન્કાએ જણાવ્યું હતું કે જો ભાજપ તેની સ્થિતિને વધુ મજબૂત કરવામાં સક્ષમ હશે અથવા જૂના પ્રદર્શનનું પુનરાવર્તન કરશે તો બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી 4 થી 5 ટકા વધી શકે છે.ITI મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર રાજેશ ભાટિયાએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે જો ભાજપ 2019 કરતાં વધુ મજબૂત પ્રદર્શન કરશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ખર્ચ જેવા ક્ષેત્રોમાં વધારો થશે, જેના કારણે શેરબજારમાં વધારો થશે.
કરુર વૈશ્ય બેન્કના ટ્રેઝરી હેડ વીઆરસી રેડ્ડીએ જણાવ્યું હતું કે અન્ય એસેટ જેમ કે રૂપિયો અને બોન્ડ યીલ્ડમાં પણ થોડો સુધારો જોવા મળી શકે છે. સિંગાપોર સ્થિત એબરડીન ખાતે એશિયન ઈક્વિટીઝના વરિષ્ઠ રોકાણકાર ડિરેક્ટર જેમ્સ થોમે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે બજાર મોદીના વળતરને હકારાત્મક માની રહ્યું છે કારણ કે તે રાજકીય સ્થિરતા અને નીતિ સાતત્ય દર્શાવે છે.
જો ભાજપ ઓછી બેઠકો સાથે સત્તામાં આવે છે, એટલે કે ઓછામાં ઓછી 272 બેઠકો પોતાના દમ પર અને સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવામાં સક્ષમ બને છે, તો બજાર ઘટી શકે છે, પરંતુ આ પતન અલ્પજીવી રહેશે. રોઇટર્સના અહેવાલ મુજબ, શેરખાનમાં મૂડી બજારની વ્યૂહરચના વડા ગૌરવ દુઆએ જણાવ્યું હતું કે એવું લાગે છે કે બજાર પહેલાથી જ સંભાવના સ્વીકારી ચૂક્યું છે કે ભાજપ અને એનડીએની જીતનું માર્જિન અગાઉના અંદાજ કરતાં ઓછું હોઈ શકે છે.
જો INDIA ગઠબંધન સત્તામાં આવે છે, તો શેરબજારમાં ભારે વેચવાલી આવી શકે છે. નવી સરકારની નીતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આ ઘટાડો ચાલુ રહેશે. કોટક ઓલ્ટરનેટ એસેટ મેનેજર્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ જીતેન્દ્ર ગોહિલે ચેતવણી આપી છે કે જો NDA ગઠબંધન આગામી સરકાર બનાવવામાં નિષ્ફળ જશે તો શેરબજારમાં 20 ટકાથી વધુનો ઘટાડો થઈ શકે છે અને તેને સંપૂર્ણ રીતે રિકવર થવામાં સમય લાગી શકે છે.એક્ઝિટ પોલ પહેલાં, ગોહિલે જણાવ્યું હતું કે તેમની રોકાણ સમિતિએ ઇક્વિટી પર રૂઢિચુસ્ત વલણ જાળવી રાખ્યું છે એટલે કે રોકાણને એસેટ ફાળવણીને અનુરૂપ જાળવવું પડશે. તેમ છતાં ગોહિલે જણાવ્યું હતું કે આવા પરિણામની સંભાવના ઘણી ઓછી છે, રોકાણકારો માટે પોર્ટફોલિયોમાં વૈવિધ્યીકરણ કરવું અને ચૂંટણીના પરિણામો પહેલા જોખમ ઘટાડવું તે મુજબની રહેશે, કારણ કે નફો મર્યાદિત હોઈ શકે છે, પરંતુ નુકસાન ખૂબ મોટું હોઈ શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.