લીકર પોલીસી કૌભાંડનો મામલો: CBIની અરજી મંજૂર, કેજરીવાલને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan29062024_123711_526.webp)
- 29 Jun, 2024
દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે લીકર પોલીસી કૌભાંડ સાથે જોડાયેલા ભષ્ટ્રાચારના મામલામાં CBIની માંગ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. સુનાવણી દરમિયાન CBIએ કેજરીવાલની 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગ કરી હતી. જેનો કોર્ટે સ્વીકાર કરી લીધો છે. કેજરીવાલને હવે 12 જુલાઈએ બપોરે 2 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કેજરીવાલને ત્રણ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી પુરી થયા પછી આજે શનિવારે સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
જજ સુનૈના શર્માએ કેજરીવાલને જેલમાં મોકલવાની માંગ કરવાની અરજી પર પહેલા ચુકાદો અનામત રાખ્યો અને પછીથી તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. દિલ્હી લીકર પોલીસી કેસ મામલામાં સીબીઆઈએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાની માંગ કરી હતી. સીબીઆઈનું કહેવું છે કે આરોપી કે કોર્ટના તપાસ અધિકારી કેસ ડાયરી માંગી શકે છે. કોર્ટ માત્ર કેસ ડાયરીને જોઈ શકે છે. આ બધી બાબત અગાઉ કોર્ટ સમક્ષ થઈ ગઈ છે. વધુમાં કેજરીવાલના વકીલે કહ્યું કે અમે જ્યુડિશિયલ કસ્ટડીની માંગની વિરુદ્ધ પણ અરજી દાખલ કરવા માંગીએ છીએ.
આ અંગે જજે કેજરીવાલને પૂછ્યું કે તમે શાં માટે અરજી દાખલ કરવા માંગો છો. જો તમારે જામીન અરજી દાખલ કરવી જ હોય તો જે તે સંલગ્ન કોર્ટમાં જામીન અરજી દાખલ કરો. જજે કેજરીવાલના વકીલને અરજી દાખલ કરવાની પરવાનગી આપી. મુખ્યમંત્રી કેજરીવાલના વકીલે કહ્યું કે સીબીઆઈની દલીલ છે કે એપ્રિલમાં તેમને કેટલીક પરવાનગી મળી હતી અને જાન્યુઆરીમાં તેમને મારી વિરુદ્ધ પુરવા મળ્યા હતા. CBIએ પણ કહ્યું કે તેમણે મારી ધરપક કરી નથી કારણ કે તેઓ સુપ્રીમ કોર્ટની કાર્યવાહીને આગળ વધારવા માંગતા હતા. જજે કહ્યું કે પોલીસ કસ્ટડી પૂર્ણ થયા પછી કોર્ટની પાસે સીઆરપીસી મુજબ આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી.
જજે કહ્યું કે એ જોવાની કોર્ટની ફરજ છે કે કેસની તપાસ દરમિયાન અધિકારીએ કેવા-કેવા પગલા ભર્યા છે. જોકે આ કોર્ટ અને તપાસ અધિકારીની વચ્ચેનો મામલો છે. સીએમ કેજરીવાલના વકીલે માંગ કરી કે કોર્ટે કેસ ડાયરી જોવી જોઈએ. જજે કહ્યું- કોર્ટની એ જવાબદારી બને છે કે તે એ જોવે કે તપાસ કઈ રીતે ચાલી રહી છે. જોકે તપાસ દરમિયાન શું પુરાવા મળ્યા છે, તે બધાની માહિતી આરોપીને આપવી જરૂરી નથી. એજન્સીને માત્ર કોર્ટના રિમાન્ડ માટે સંતુષ્ટ કરવી જરૂરી છે. સીએમ અરવિંદ કેજરીવાલને આજે તેમના ત્રણ દિવસના સીબીઆઈ રિમાન્ડ પુરા થવા પર રાઉજ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.