વરસાદના પગલે સર્જાઈ મોટી દુર્ઘટના: તેલંગાનાના નગરકુર્નલમાં ભારે વરસાદનો કહેર, ઘરની છત પડવાથી એક જ પરિવારના 4 લોકોનાં મોત
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan01072024_065227_Telagana.webp)
- 01 Jul, 2024
તેલંગાનાના નગરકુર્નૂલમાં ભારે વરસાદ પડ્યો છે. અહીં વનપટલા ગામમાં માટીની છત પડી જવાથી એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. જ્યારે એકને ગંભીર ઈજા થઈ છે. આ ઘટના અંગે નગરકુર્નૂલ પોલીસે જણાવ્યું કે આ ઘટના રવિવારે સવારે લગભગ 2 વાગ્યાની છે. એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે છત નબળી થઈને પડી ગઈ હતી. આ ઘટનામાં ઘરના ચાર પરિવારના મોત થયા છે અને એકને ગંભીર ઈજા પહોંચી છે. મૃતકોમાં એક મહિલા સહિત 3 બાળકો સામેલ છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.
ગત વર્ષે અમદાવાદમાં જર્જરીત મકાન ધરાશાયી થયું હતું. મીઠાખળી ગામમાં વહેલી સવારે મકાન ધરાશાયી થતા ચકચાર મચી ગઈ હતી. પરિવાર સવારે ઊંઘતો હતો, મકાન ધરાશાયી થતા આખો પરિવાર કાટમાળ નીચે દટાયો, જેમાં એકનું મોત થયું હતું, તો પાંચ લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં મીઠાખળી ગામમાં વિસ્તારમાં વહેલી સવારે એક જર્જરીત જુનુ મકાન ધરાશાયી થયું હતું. જેમાં એક જ પરિવારના 6 લોકો કાટમાળ નીચે દટાયા હતા. ઘટનાની જાણ તંત્રને કરવામાં આવતા પોલીસ કાફલો અને ફાયર બ્રિગેટની ટીમે ઘટના સ્થળ પર પહોંચી અને પીડિતોને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે મોકલવામાં આવ્યા. આ ઘટનામાં એકનું મોત થયું છે, તો પાંચને નાની મોટી ઈજા પહોંચી છે.
ભારે વરસાદના પગલે ગત વર્ષે ગુજરાતના ગીર-સોમનાથમાં ભારે તારાજી સર્જાઈ હતી. ગત વર્ષે ગીર સોમનાથમાં બારેમેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદ અહી આફતરૂપ બન્યો હતો. એક સાથે તાલાલામાં સાત મકાન ધરાશાયી થયા હતા. તાલાલામાં વરસાદને લીધે 65 મકાનો ક્ષતિગ્રસ્ત હતા. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ભગા બારડ પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોચ્યા હતા. વહેલી સવારથી જ ભગા બારડ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ રહયાં હતા. ભારે વરસાદના પગલે સ્કૂલની દિવાલ પણ ધરાશાયી થઇ હતી. સુત્રાપાડામાં ભારે નુકસાનના કરાણે ભારે તારાજી સર્જાઇ હતી. ખેતરો પાણીમાં ગરકાવ થઇ જતાં લીલા દૂષ્કાળ જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતો ચિંતિત છે.