NEET-UG મામલે ગુજરાતમાં સીબીઆઈના દરોડા: અમદાવાદ, ગોધરા, ખેડા, આણંદ સહિત 7 સ્થળોએ રેડ; ઝારખંડથી એક પત્રકારની ધરપકડ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan29062024_082024_CBi 11.webp)
- 29 Jun, 2024
NEET-UG કોભાંડ મામલે આજે CBIએ ગુજરાતમાં દરોડા પાડ્યા છે. ગોધરા, ખેડા, આણંદ, અમદાવાદ સહિત 7 જેટલા સ્થળોએ સીબીઆઈએ રેડ કરી છે. આ સિવાય સીબીઆઈએ ઝારખંડના હઝીરાબાગના એક પત્રકારની પણ ધરપકડ કરી છે. આ પત્રકાર ઝારખંડના એક જાણીતા હિન્દી ન્યુઝ પેપર માટે કામ કરે છે અને તેના પર આરોપીઓને મદદ કરવાનો આરોપ લાગ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ પત્રકારની ઓળખ જમલ્લુદ્દીન તરીકે થઈ છે. તે છેલ્લા ઘણા સમયથી ઝારખંડના હઝીરાબાગમાં એક જાણીતા હિન્દી ન્યુઝપેપરમાં કામ કરે છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે તેણે બે આરોપીની મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે 28 જૂનના રોજ સીબીઆઈએ ઝારખંડની ઓએસિસ સ્કુલના પ્રિન્સિપાલ અને વાઈસ-પ્રિન્સિપાલની પેપર લીક મામલામાં ધરપકડ કરી હતી.
ડો.ઈશાનઉલ હક્ક પોતે ઓએસિસ સ્કુલના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. જ્યારે ઈમ્તિ્યાઝ આલમ વાઈસ-પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. આ બંને શિક્ષકોને હઝારીબાગમાં નીટ-યુજીના કોર્ડિનેટર તરીકેની જવાબદારી નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આપી હતી. આ સ્કુલમાંથી પેપર લીક થયું હોવાની શંકાને આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે.
સીબીઆઈએ NEET પેપર લીક કેસની તપાસ સંભાળ્યા બાદ ઝડપી કાર્યવાહી કરી છે. બિહારના ઈકોનોમિક ઓફેન્સ યુનિટ (EOU)એ પોતાની તપાસમાં હજારીબાગની જે ઓએસિસ સ્કૂલ સાથે પેપર લીકના તાર જોડ્યા હતા, તે દિશામાં કામ કરતા CBIએ સંજીવ મુખિયા ગેંગના સમગ્ર પ્લાનનો પર્દાફાશ કર્યો છે.
CBI પહેલાથી જ સંજીવ મુખિયાના બે સ્પેશિયલ મેમ્બર ચિન્ટુ અને મુકેશને રિમાન્ડ પર લઈને પૂછપરછ કરી રહી છે. CBIને શંકા છે કે હજારીબાગની ઓએસિસ સ્કૂલમાંથી જ NEETનું પેપર લીક થયું હતું અને એહસાન-ઉલ-હક અને ઈમ્તિયાઝ આલમની તેમાં ભૂમિકા હતી. લીક થયા બાદ NEET પરીક્ષાનું પેપર માફિયા સંજીવ મુખિયા સુધી પહોંચ્યું હતું.