રાંધણ ગેસમાં-પેટ્રોલ-ડિઝલમાં રાહતો ચૂંટણી પરિણામ બાદ પણ યથાવત: વપરાશકારો માની રહ્યાં છે ને કે ન મામા કરતાં કાણો મામો શું ખોટો...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan19032024_072130_WhatsApp Image 2024-03-19 at 12.50.52 PM.jpeg)
- 19 Mar, 2024
18મી લોકસભાની ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. અને રાજકીય પક્ષો દ્વારા તે પહેલાથી જ તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હવે જ્યારે ચૂંટણીઓ જાહેર થઇ ગઇ છે ત્યારે રાજકીય પક્ષો ચૂંટણી જંગના મેદાનમાં જોવા મળશે. કોણ જીતશે અને કોણ હારશે તેનો ફેંસલો સૈથી મોટી લોકશાહી ધરાવનાર ભારત દેશના 97 કરોડ મતદારો કરશે. મતદારો 70 ટકા કરતાં વધુ મતદાન કરીને જે જનાદેશ આપશે તે ભારતને આગળ ધપાવશે. જો કે ચૂંટણીઓ પહેલાં ભારત સરકારે જે રાહતો સામાન લોકોને આપી છે તેની નોંધ લેવી પડે તેમ છે.
8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિને કેન્દ્ર સરકારે ઘરેલુ રાંધણ ગેસમાં બાટલે 100 રૂપિયાનો ઘટાડો કરીને રાહત આપી તો ચૂંટણીઓ જાહેર થાય તે પૂર્વે પેટ્રોલ-ડિઝલમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો છે. જો કે રાજસ્થાનમાં ભાજપ સરકારે વેટમાં ઘટાડો કરીને વધારે લાભ વપરાશકારોને આપવાનો પ્રાયસ કર્યો છે. અને ઘણાં મહિનાઓ બાદ સરકારે ઇંધણમાં રાહત આપી છે. કેમ કે પેટ્રોલમાં લિટરનો ભાવ 100ની આસપાસ રહેતો હતો.
કેન્દ્ર સરકારે ઉજ્જવલાની મુજતમાં એક વર્ષનો વધારો કર્યો છે તો અય રાહતો આપીને લોકોના મન જીતવાનો પ્રાયસ કર્યો છે. કારણ કે એ હકીકત છે કે લોકો વધતી જતી મોંઘવારીથી ત્રસ્ત છે અને કંઇક રાહત મળે એવી આશા રાખી રહી હતી. કેટલાક તો વળી એમ પણ કહેતા હોય છે કે આ ચૂંટણીઓ વારંવાર આવવી જોઇએ કેમ કે ચૂંટણીઓ આવે છે અને રાહતો લાવે છે.. અલબત દેશ તો હવે વન નેશન-વન ઇલેકશન તરફ આગળ વધી રહ્યો હોય તેવી ચર્ચા છે. જો કે તેના અમલ માટે બંધારણમાં સુધારો કરવો પડે અને તે માટે સત્તાધારી પાર્ટી પાસે જંગી બહુમતિ હોવી જરૂરી છે.
પેટ્રોલ અને ડિઝલ એક એવા ઇંધણ છે કે તેનો ભાવ વધારો સીધો મોંધવારીની સાથે જોડાયેલો છે. ડિઝલના ભાવ વધે એટલે માલસામાન વહન કરનાર વાહનોના ભાડામાં વધારો થઇ જાય અને ભાડા વધે એટલે તેમાં જે માલસામાનની હેરફેર થતી હોય તેમાં વધારો થાય અને છેવટે બધો બોજ વપરાશકારો પર આવે છે. તેથી રાંધણ ગેસમાં 100 રૂપિયાનો ઘટાડો અને ઇંધણમાં બે રૂપિયા મળીને સરકારે ગરીબ-મધ્યમ વર્ગને રાજી રાખવાનો પ્રયાસ કર્યો એમ કહી શકાય. અલબત ઇંધણમાં વધારે રાહતની અપેક્ષા રાખવામાં આવી રહી હતી અને લિટરે 10 રૂપિયા નહીં તો પાંચ રૂપિયા તો ઘટશે એમ વપરાશકારો માની રહ્યાં હતા. તેમ છતાં કહેવત છેને કે ન મામા કરતાં કાણો મામો શું ખોટો...એમ પાંચ રૂપિયા નહીં તો બે રૂપિયાથી વપરાશકારોએ સંતોષ માનીને ચાલવુ જોઇએ.
વાસ્તવમાં ચૂંટણી વખતે આ પ્રકારની રાહતો મળશે એમ લોકો હવે માનીને જ ચાલે છે અને એમ કહેતાં સંભળતા હોય છે કે એ તો ચૂંટણીઓ નજીક આવશે એટલે સરકાર રાહત આપશે.... અને થાય છે પણ એવુ જ. જેમ કે હાલમાં જ ચૂંટણીઓ ગમે ત્યારે જાહેર થઇ જશે એમ ભારત સરકાર જાણતી હતી તેથી તે પહેલાં રાંધણ ગેસ અને વાહન ઇંધણમાં રાહતો જાહેર કરી નાંખી.
કારણ કે ચૂંટણીઓ જાહેર થતાં જ આચારસંહિતા પણ અમલમાં આવી જતી હોવાથી સરકાર આવી કોઇ જાહેરાતો કરી ન શકે.
રાંધણ ગેસમાં રાહત-ઇંધણાં રાહત અને અન્ય રાહતોને કેન્દ્રમાં સત્તધારી પાર્ટી મતોમાં પરિવર્તિત કરી શકશે કે કેમ એ તો પરિણામ જ કહેશે. પણ આ રાહતો આવકારને પાત્ર છે. પછી ક્યાંક એવુ ન થાય કે પરિણામો બાદ રાહતો નિરર્થક ન નિવડે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ