સસ્પેન્શન જાહેર થયા બાદ પ્રગટ થયા કુંભાણી : ફોર્મ ભરતા સમયે દૂધાત હાજર ન રહ્યા હોવાનૉ આરોપ...
- 26 Apr, 2024
સુરત લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ હતી. આ પછીથી નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા. કોંગ્રેસના કાર્યકરોમાં નિલેશ કુંભાણીને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો અને કાર્યકરોએ સુરત ખાતેના ઘરે 'જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો' જેવા બેનર લઈને દેખાવ કર્યો હતો. પરંતુ 6 દિવસ બાદ આજે અચાનક તેઓ સામે આવ્યા છે અને 5 મિનિટ 15 સેકન્ડના વીડિયો દ્વારા તેમણે મેસેજ આપ્યો છે. તેમણે કહ્યું કે, હું તો હાઇકોર્ટમાં જવા માગતો હતો પણ કોંગી નેતાઓએ સાથ ન આપ્યો. હું કોંગ્રેસ સાથે છું અને સાથે રહીશ.
વધુમાં તેમણે કહ્યું હતું કે 'હું મોવડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો, મારી બાબુભાઈ માગુંકિયા સાથે મારી વાત થઈ હતી. મે સગા સંબધીને કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે કાઈ ડરવાની જરુર નથી. બધાનો સાથ સહકાર લઈને પિટિશન દાખલ કરવા અમદાવાદ જવા રવાના થયો ત્યારે કોના ઈશારે કોંગ્રેસના કાર્યકરો અહીં ઘરે આવીને અને મારો વિરોધ પ્રદર્શન કરીને મને પરત ફરવા મજબૂર કર્યો હતો.'
આ ઉપરાંત નિલેશ કુંભાણીએ પ્રતાપ દૂતાતને આડે હાથ લઈને કહ્યું હતું કે, 'દૂધાત મારો ફોન ઉપાડતા ન હતા. ફોર્મ ભરતા સમયે દૂધાત હાજર રહ્યા ન હતા.' કોંગ્રેસ નેતા પર આક્ષેપ કરતા નિલેશ કુંભાણીએ ક્હ્યું હતું કે, 'કોંગ્રેસના નેતાઓ મારી સાથે રથમાં બેસવા તૈયાર ન હતા. બુથની માહિતી પણ કોંગ્રેસના નેતા આપતા ન હતા.' આ સિવાય કુંભાણીએ જણાવ્યું હતું કે 'જે અત્યારે વિરોધ કરે છે એ પહેલા ભાજપ સાથે બેસી ગયા હતા અને અમારી સભામાં કે ડોર ટુ ડોર પ્રચારમાં આગેવાન અમારી સાથે આવ્યા ન હતા.'
કોંગ્રેસના આગેવાનો પર આકરા પ્રહાર કરતા કુંભાણીએ વીડિયોમાં જણાવ્યું હતું કે, 'લોકસભા ચૂંટણી માટે મને એકલો મુકી દીધો હતો અને હું એકલો જ પ્રચાર કરતો હતો. અત્યારે જે આગેવાનો વિરોધ કરે છે તે ફુટી ગયા હતા. 2017માં મારી ટિકિટ આવી અને કપાય ગઈ ત્યારે ભાજપમાંથી મને ઓફર હતી કે ભાજપમાં જોડાઈ જાવ અથવા અપક્ષ લડો અથવા કોંગ્રેસના વિરોધમાં નિવેદન આપો, તેમ છતાં મેં કોંગ્રેસ પાર્ટીને નુકસાની જાય તેવું નિવેદન આપ્યું ન હતું.'
નીલેશ બે ચૂંટણી હારી ચૂક્યા છે, પરંતુ કુંભાણી ખાસ કરીને વરાછા રોડ, કતારગામ વિસ્તારમાં ખૂબ જાણીતું નામ છે. તેની સાથે સાથે પાટીદાર સમાજમાં પણ તેઓ જાણીતો ચહેરો છે. અલબત્ત કોંગ્રેસે આ વખતે તેમની ઉપર પસંદગી ઉતારી છે તે માત્ર વરાછાવાસી એટલે કે સૌરાષ્ટ્રવાસી મતદારોને ધ્યાનમાં રાખીને જ તેમની પસંદગી કરવામાં આવી હતી તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ