શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો ૫૪૭મો પ્રાગટ્યોત્સવ: કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન....
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan01052024_093230_WhatsApp Image 2024-05-01 at 14.32.40_593faeb4.webp)
- 01 May, 2024
અખંડ ભૂમંડલાચાર્ય જગદ્ગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૪૭ મા પ્રાગટ્યોત્સવ પ્રસંગે કલ્યાણ પુષ્ટિ હવેલી, વસ્ત્રાપુર, અમદાવાદ દ્વારા યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગો. ૧૦૮ શ્રી શરણકુમારજી મહોદયશ્રી ના સાન્નિધ્યમાં ત્રિદિવસીય મહોત્સવનું આયોજન વસ્ત્રાપુર એમ્ફી થિયેટર ખાતે કરવામાં આવ્યું છે.
આ ત્રિદિવસીય આયોજનના પ્રથમ દિવસે તારીખ ૨-૫-૨૦૨૪, ગુરૂવારના રોજ શ્રી વલ્લભ ચિંતન અંતર્ગત યુવા વૈષ્ણવાચાર્ય દ્વારા જગદ્ગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્યજી ના દિવ્ય સિદ્ધાંતોને આજના કળિકાળ અને આધુનિક યુગમાં પણ કેવી રીતે આત્મસાત્ કરી વૈષ્ણવો પોતાના જીવનને કઈ રીતે ઉચ્ચ સ્તરે લઈ જઈ શકે તે વિષય પર અમદાવાદમાં બિરાજતા યુવા વૈષ્ણવાચાર્યો તેમના વચનામૃતનો લાભ વૈષ્ણવોને પ્રાપ્ત કરાવશે. વચનામૃત બાદ વધાઈ અને કીર્તન સંમેલન યુવા આચાર્યો દ્વારા થશે.
આ મહોત્સવના દ્વિતિય દિવસે, તારીખ ૩-૫-૨૦૨૪, શુક્રવાર ના રોજ પુષ્ટિ પરામર્ષ નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પુષ્ટિ માર્ગના ખ્યાતનામ શાસ્ત્રીજીનો શ્રી શરણકુમારજી મહોદયશ્રી સાથે સંવાદ થશે. આ સંવાદમાં મુંબઈથી શ્રી આદિત્ય શાસ્ત્રીજી, વડોદરાથી શ્રી વત્સલ પ્રધુમ્નશાસ્ત્રીજી, સોલા ભાગવત અમદાવાદથી શ્રી અનંતકૃષ્ણ શાસ્ત્રીજી પધારશે. ત્યારબાદ પ્રસિદ્ધ ગાયક શ્રી રાજુભાઈ ભટ્ટ દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.
મહોત્સવ ના ત્રીજા દિવસે એટલે શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાગટ્યોત્સવ તારીખ ૪-૫-૨૦૨૪, શનિવારના રોજ દિવ્ય અને ભવ્ય શોભાયાત્રા નીકળશે. જેમાં હાથી, ઘોડા, બેન્ડ વાજા તેમજ વિશેષ રીતે પુષ્ટિ માર્ગના સપ્ત નિધિ સ્વરૂપની ઝાંખી, દર્શન તેમજ બાલસંસ્કાર કેન્દ્રના બાળકો દ્વારા ૮૪ વૈષ્ણવોના વેશને ધારણ કરી શોભાયાત્રામાં શામેલ થશે.
ધર્મસભામાં કાલુપુર ગાદી સંસ્થાનના યુવા આચાર્ય લાલજી મહારાજ શ્રી વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજ, જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલિપદાસજી મહારાજ, તેમજ ભાગવત ૠષિજી દ્વારાના શ્રીમદ્ વલ્લભાચાર્યજીના દિવ્ય વાણીનો લાભ તેમજ શરણકુમારજી મહોદયશ્રી ના વચનામૃતનો લાભ વૈષ્ણવોને પ્રાપ્ત થશે. આ સમગ્ર મહોત્સવ દરમ્યાન શ્રી કલ્યાણરાય પ્રભુ, શ્રી ગોવર્ધનધરણ પ્રભુ, શ્રી ગિરિરાજજી, શ્રી યમુને મહારાણીજીને વિશેષ ભોગ, વસ્ત્રો અને કલાત્મક આભૂષણો ધરાવવામાં આવશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ