ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યુંઃ બનાસકાઠાં બેઠક પરથી ગેનીબેન ઠાકોરની જીત, ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન હાર્યા; પ્રિયંકા ગાંધીએ બનાસકાઠાંમાં કરી હતી રેલી
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan04062024_101545_Ganiben New Image.webp)
- 04 Jun, 2024
ગુજરાતની કુલ 26 લોકસભા બેઠકોમાંથી એક બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. બનાસકાંઠાનાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની 21651 વોટથી જીત થઈ છે. જ્યારે તેમની સામે ઉભા રહેલા ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરી હારી ગયા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને પ્રોત્સાહન આપવા માટે પ્રિયંકા ગાંધીએ બનાસકાઠાંમાં એક રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે રાહુલ ગાંધીની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે રાહુલે ભારત જોડો યાત્રા દરમિયાન નાના-નાના માણસોની તકલીફોને સાંભળી હતી.
દરમિયાનમાં, 19 એપ્રિલથી શરૂ થયેલી 18મી લોકસભાની ચૂંટણીઓ માટે સાત કોઠા સમાન સાત તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને હવે સૌની નજર પરિણામ પર ટકેલી છે. દરેક તબક્કામાં સરેરાશ 60 ટકાની આસપાસ મતદાન થયું છે. જોકે બંગાળમાં સૌથી વધારે 70 ટકાની ઉપર મતદાન થયું છે. કુલ 543 બેઠકો માટે 8,000 કરતા વધુ ઉમેદવારો મેદાનમાં હતા. 97 કરોડ મતદારોમાંથી અંદાજે 32 કરોડ મતદારો મતદાનથી દૂર રહ્યાં છે અને 60થી 62 કરોડ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
હિટવેવ અને ભીષ્ણ ગરમીમાં કદાચ પહેલીવાર આ ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં સંખ્યાબંધ ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પણ નિધન પામ્યા હતા. ભીષણ ગરમીને જોતા આગામી ચૂંટણીઓ એપ્રિલ-મેમાં યોજવી કે કેમ તેના વિશે પણ વિચારણ થઈ શકે. આ ચૂંટણીઓમાં પ્રચારના કોઈ એક મુદ્દાને બદલે દરેક તબક્કામાં અલગ-અલગ મુદ્દા જોવા મળ્યાં હતા. જેમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના રાહુલ ગાંધી અને કોંગ્રેસના મેનિફેસ્ટોને નિશાન બનાવી પ્રહારો કર્યા હતા.
2024ની ચૂંટણીમાં પહેલીવાર વિપક્ષોએ ગઠબંધન બનાવ્યું હતું. કોંગ્રેસના નેતૃત્વમાં ઈન્ડિયા એલાયન્સ નામના મોરચાની સ્થાપના કરી હતી અને તેના નેજા હેઠળ કોંગ્રેસ, સપા, આપ વગેરે પાર્ટીએ બેઠકોની સમજૂતી કરી હતી. આ ચૂંટણીમાં એવું પહેલીવાર થયું કે 2014 અને 2019ની જેમ કોઈ પણ વેવ કે મોદી લહેર કે કોઈ એક મુદ્દા પર ચૂંટણીઓ યોજાઈ નથી. કોંગ્રેસે અને સપાએ બંધારણ બચાવોને મુખ્ય મુદ્દો બનાવી અદાણી સહિતના 22 અબજોપતિને નિશાન બનાવ્યા હતા. તો સામે પક્ષે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અને વિપક્ષ સત્તામાં આવશે તો ગરીબ પરિવારોના મંગળસૂત્ર સહિત તમામ છીનવી લેશે અને ઘુસણખોર તથા મુસ્લિમોને આપી દેશે તેવો મુદ્દો ચગાવ્યો હતો.
આ ચૂંટણીમાં વડાપ્રધાન મોદીનું એ રૂપ પણ જોવા મળ્યું કે જેમાં તેમણે એક તબક્કે એમ કહ્યું કે એમનો જ જન્મ જ થયો નથી, તેમને પરમાત્માએ સીધા મોકલ્યા છે. આ ચૂંટણીમાં વિરોધપક્ષોએ મુખ્યપ્રવાહના મીડિયાને પણ નિશાન બનાવી આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત ગઈ ચૂંટણીની જેમ આ વખતે પણ છેલ્લા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન એકાંતવાસમાં આ વખતે કન્યાકુમારી વિવેકાનંદ મેમોરિયલ રોક ખાતે પહોંચ્યા હતા અને 48 કલાકનું ધ્યાન ધર્યું હતું.