સાંસદો કે ધારાસભ્યોને કાનૂની સરક્ષણ નહીં મળે: વોટના બદલે નોટ બાબતે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan04032024_065055_97606013.webp)
- 04 Mar, 2024
રાજકીય પક્ષને જીતાડવા માટે વોટ આપી તેના બદલામાં નિર્ધારિત રકમ લેવાનું ચલણ દેશના રાજકારણમાં વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યુ છે. તેથી જ આ મામલની દખલ સુપ્રીમ કોર્ટ લીધી અને તેની બંધારણીય બેન્ચે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સોમવારે 7 સભ્યોની ડિવિઝન બેન્ચે સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્ણયને રદ કરીને નવો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે નોટોના બદલામાં મતદાનના મામલે સાંસદોને કોઈપણ છૂટ આપવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટના 7 જજોની બંધારણીય બેંચે સોમવારે આ નિર્ણય સંભળાવ્યો. આ રીતે કોર્ટે પોતાના જ જૂના નિર્ણયને પલટી નાખ્યો છે. કલમ 105ને ટાંકીને કોર્ટે કહ્યું કે, લાંચના કેસમાં સાંસદોને કોઈ રાહત આપી શકાય નહીં. 1993માં નરસિમ્હા રાવ સરકારના સમર્થનમાં મત આપવા માટે સાંસદોને લાંચ આપવાના આરોપો લાગ્યા હતા.
આના પર 1998માં 5 જજોની બેન્ચે 3-2ની બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે, સંસદમાં સાંસદ જે પણ કામ કરે છે, તે તેમના વિશેષાધિકારમાં આવે છે. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે વિશેષાધિકારની વ્યાખ્યા બદલી છે. ખંડપીઠે કહ્યું કે, કલમ 105 સામાન્ય નાગરિકોની જેમ સાંસદો અને ધારાસભ્યોને લાંચ લેવાથી મુક્તિ આપતી નથી. વાસ્તવમાં 1998ના નિર્ણયમાં બંધારણીય બેંચે કહ્યું હતું કે, જો સંસદમાં કોઈ કામ થાય છે, તો તે સાંસદોનો વિશેષાધિકાર છે અને તેના પર કાર્યવાહી થઈ શકે નહીં. પરંતુ હવે કોર્ટ દ્વારા નવા નિર્ણય સાથે તે રાહત પાછી ખેંચી લેવામાં આવી છે.
આ નિર્ણય અનુસાર જો સાંસદો વોટના બદલામાં લાંચ લેશે તો તેમની સામે પણ સામાન્ય નાગરિકોની જેમ કાર્યવાહી કરવામાં આવશે. ભલે તેણે સંસદમાં પ્રશ્નો પૂછવા માટે જ લાંચ લીધી હોય.આ મુદ્દે કડક વલણ અપનાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે સાંસદો દ્વારા લાંચ લેવી કે ભ્રષ્ટાચાર કરવો એ બંધારણના સિદ્ધાંતો અને આદર્શોનું ઉલ્લંઘન છે.
સાંસદોના વિશેષાધિકારોની સ્પષ્ટતા કરતા બેન્ચે કહ્યું કે આ સંસદીય કાર્યવાહીને લાગુ પડે છે. પરંતુ જો સંસદીય કાર્યની બહાર કોઈ લાંચ લેવામાં આવે તો તેને મુક્તિ આપી શકાય નહીં. ખંડપીઠે કહ્યું કે જો આવી અનચેક મુક્તિ આપવામાં આવશે તો એક વર્ગ ઉભો થશે જેને ભ્રષ્ટાચારમાંથી પણ રાહત મળશે. આ રીતે, સાંસદ અથવા ધારાસભ્યને સંસદ અથવા વિધાનસભામાં ભાષણ અથવા મતદાન માટે ચલણી નોટોનો ઉપયોગ કરવાથી મુક્તિ આપી શકાતી નથી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ