દ્વારકામાં કરૃણાંતિકાઃ રહેણાંકમાં આગ લાગતાં એક પરિવારના 4 સભ્યોનાં મોત ઈલેક્ટ્રીક શોર્ટસર્કિટના કારણે આગ લાગવાનું પ્રાથમિક અનુમાન ..
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan01042024_074610_1604560-scs.webp)
- 01 Apr, 2024
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે.ત્યારે દ્વારકામાં એક મકાનમાં આગ લાગતા એક પરિવાર આગમાં હોમાયો છે. દ્વારકાના આદિત્ય રોડ ખાતે આવેલા એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી. જેમાં 4 લોકોના મોત નિપજ્યાં છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે આજે વહેલી સવારે એક પરિવારના રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠતા નિંદ્રાધીન અવસ્થામાં રહેલા એક યુવાન, તેમના પત્ની અને માતા તેમજ સાત માસની માસૂમ પુત્રીના ગૂંગળાઈ જવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટીભર્યાં મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે મકાનની નીચેના ભાગમાં રહેલા ૮૦ વર્ષના દાદીમાંનો ચમત્કારિક બચાવ થયો હતો.
અરેરાટીભર્યા આ બનાવની જાણવા મળતી વિગત મુજબ દ્વારકામાં પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક આવેલા આદિત્ય રોડ પર શીતળા માતાજીના મંદિર પાસે રહેતા અને ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા પાવનભાઈ કમલેશભાઈ ઉપાધ્યાય નામના ૩૧ વર્ષના ગુંગળી બ્રાહ્મણ યુવાન તેમના ઘરે રાત્રિના સમયે સૂતા હતા ત્યારે વહેલી સવારે આશરે ચારેક વાગ્યાના સમયે બે માળના મકાનના પહેલા માળે આગ ભભૂકી ઉઠી હતી.
અહીં રૃમમાં રહેલા પરિવારના સભ્યો કાંઈ સમજે તે પહેલા આગે વિકરાળ સ્વરૃપ ધારણ કરી લીધું હતું અને બંધ રૃમમાં ગુંગળાઈ જવાના કારણે પાવનભાઈ ઉપરાંત તેમના ધર્મપત્ની તિથિબેન પાવનભાઈ ઉપાધ્યાય (ઉ.વ. ૨૯) અને આશરે સાત માસની માસૂમ પુત્રી ધ્યાના તેમજ તેમના માતા ભાવિનીબેન કમલેશભાઈ ઉપાધ્યાય (ઉ.વ. ૫૧) રૃમની બહાર નીકળી ન શકતા અહીં જ મૂર્છિત હાલતમાં રહી ગયા હતા.
આગની જાણ ઇમરજન્સી ૧૦૮ તથા ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર સ્ટાફ તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સ તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી મકાનની કાચની બારીઓ તોડી અંદર રહેલા પરિવારના સભ્યોને બહાર કાઢી દ્વારકાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ ઘટના દરમિયાન તેમના ઘરમાં રહેલા પાવનભાઈ ઉપાધ્યાયના આશરે ૮૦ વર્ષની ઉંમરના દાદીમાનો ચમત્કારિક બચાવ થયો હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ બનાવના અનુસંધાને દ્વારકા પોલીસ સ્ટાફે પણ તુરંત ઘટના સ્થળે પહોંચી અને જરૃરી કાર્યવાહી કરી હતી. આગ લાગવાનું કારણ જાણવા એસ.એસ.એલ.ની મદદ લેવામાં આવી હતી. ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. એક સાથે એક જ પરિવારના ચાર સદસ્યો આગના કારણે મૃત્યુ પામતા સમગ્ર દ્વારકા સાથે ગુગળી બ્રાહ્મણ સમાજમાં પણ ઘેરા શોક સાથે અરેરાટી પ્રસરી જવા પામી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ