‘ચિઠ્ઠી આઈ હૈ’ના ગાયક પંકજ ઉધાસનું નિધન: 72 વર્ષની ઉંમરે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan26022024_113806_Pankaj-Udhas.webp)
- 26 Feb, 2024
બોલિવૂડના પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમની પુત્રી નાયાબ ઉધાસે પિતાની નિધનની માહિતી આપી છે. નાયાબે એક પોસ્ટ લખ્યું છે કે, ‘હું તમને બધાને ખૂબ દુઃખ સાથે જણાવી રહી છું કે, પદ્મશ્રી પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી-2024ના રોજ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી પેનક્રિયાસ કેન્સરથી પીડાતા હતા.’
પંકજ ઉધાસના પીઆરએ જણાવ્યું કે, તેમનું આજે સવારે 11.00 કલાકે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બિમાર હતા. ઘણા દિવસોથી તેમની તબિયત લથડી હતી. સંગીત કલાકારના નિધનના અહેવાલો સામે આવતા જ બોલિવૂડ જગત સહિત તેમના સંગીત જગતમાં ચાહકો ને પણ આઘાત લાખ્યો છે. તમામ લોકો સોશિયલ મીડિયા પર સંગીતકારને આખરી શ્રદ્ધાંજલી આપી રહ્યા છે..
બહુ ઓછા લોકો એ વાત જાણતા હશે કે પંકજ ઉધાસ ગુજરાતી હતા.. તેમનો જન્મ 17 મે 1951ના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો. પરિવારમાં ત્રણ ભાઇ હતા. જેમાં તેઓ સૌથી નાના હતા. તેમનો પરિવાર રાજકોટ નજીક આવેલા ચરખાડી ગામે વસવાટ કરતો હતો.તેમના દાદા કે જેઓ ભાવનગર રાજ્યના દિવાન હતા તેઓ જમીનદાર તરીકે ખુબજ ખ્યાતિ ધરાવતા હતા.
તેમના પિતા કેશુભાઈ ઉધાસ સરકારી કર્મચારી હતા, પંકજ ઉધાસને ગાવાનો વારસો તેમની માતા તરફથી મળ્યો હતો. તેમની માતાને ગીતો ગાવાનો ખુબ શોખ હતો.. અને આ જ શોખ પંકજ ઉધાસને વારસામાં મળ્યો અને તેઓ તથા તેમના બન્ને ભાઇઓ સંગીત તરફ વળ્યા .પંકજની સંગીત કારકિર્દી 6 વર્ષની ઉંમરે શરૂ થઈ હતી. તેમના ઘરમાં સંગીતમય વાતાવરણ હતું.
ગઝલ ગાયક તરીકે તેમણે ખુબજ લોકચાહના મેળવી હતી.. ફિલ્મ નામમાં ચિઠ્ઠી આઇ હે ગઝલથી તેમની કરિયરને એક નવો વળાંક મળ્યો હતો.. અને ત્યારબાદ તેમણે ક્યારેય પાછુ વળીને જોયું ન હતું. તેઓ એક પ્રખ્યાત ગાયક હતા અને તેમણે દેશ સહિત વિશ્વભરમાં પણ નામના મેળવી છે. ઉધાસે 1980ના દાયકામાં તેમના કરિયરની શરૂઆત કરી હતી તેમના કેટલાક સૌથી પ્રખ્યાત ગીતોમાં ‘ચિઠ્ઠી આઈ હૈ’, ‘ચિત્કારા’, મેં તો કહી દીયા’, ‘તુજે દેખા તો યે જાના સનમ’ અને ‘જિંદગી કા સફર’નો સમાવેશ થાય છે. ઉધાસે ફિલ્મો માટે પણ ઘણા ગીતો ગાયા છે, જેમાં ‘મિર્ચ મસાલા’, ‘સરદાર’ અને ‘દિલ કા રીશતા’નો સમાવેશ થાય છે.
તેમણે હિન્દી ફિલ્મો ઉપરાંત ગુજરાતી ફિલ્મો અને ટેલિવિઝન શોમાં પણ અવાજ આપ્યો હતો. ઉધાસને તેમના અભિનય માટે અનેક પુરસ્કારો પણ મળ્યા છે. પંકજ ઉધાસ ભારતીય સંગીત ઉદ્યોગના સૌથી પ્રિય અને આદરણીય કલાકારોમાંના એક છે. તેમની પ્રતિભા અને સિદ્ધિઓને હંમેશા યાદ કરવામાં આવશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ